આટલા પાપો હોવા છતાં ભગવાન કેમ અવતાર લેતા નથી?
તમે ઘણાને એવું કહેતા સાંભળ્યા હશે કે પૃથ્વી ઉપર આટઆટલા પાપો આચરાતા હોવા છતાં ભગવાન કેમ અવતાર નથી લેતા? એક રાવણને મારવા ભગવાને રામાવતાર ધારણ કર્યો, આજે લાખો કરોડો રાવણો હોવા છતાં કેમ આવતા નથી? શું ભગવાન તેમણે આપેલું વચન 'संभवामि युगे युगे' ભૂલી ગયા? વગેરે વગેરે...
સૌથી પહેલી વાત તો એ કે જયારે ભગવાન એમ કહે છે કે અધર્મનો નાશ કરવા હું સમયે સમયે અવતાર ધારણ કરીશ, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ એમ પણ કહી દે છે કે વારંવાર નાશ કરવા છતાં પાપ ફરી ફરીને પોતાનો પ્રસાર કરવાનું જ છે. પાપીઓ વધવાના જ છે, ધર્મનું નિકંદન નીકળવાનું જ છે. માટે આ તો શ્રુષ્ટિનો ક્રમ જ છે. તો જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો પછી દુખી શા માટે થવું? અને વળી જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો અવતાર ક્યારે લેવો એ શ્રુષ્ટિના રચયિતા ઉપર જ છોડી દઈએ એ જ યોગ્ય નથી?
આમ છતાં જો આપણું માયાગત અહમ આપણને આ વાત સ્વીકારવા ના દેતું હોય અને સતત એ પ્રશ્ન થયા કરતો હોય કે શા માટે ભગવાન અવતાર નથી લેતા તો આ પ્રશ્ન આપણે બીજાને પૂછીએ છીએ એના કરતા એકવાર આપણે પોતાને પૂછી જોઈએ તો કેવું? શું આપણે આજે ભગવાન અવતાર લઈને આવે તો તેમને ભગવાન તરીકે સ્વીકારી શકીએ એમ છીએ? આજના સમયમાં કોઈ સારો સંત મહાત્મા કે પછી લોકહિત માટે કામ કરતો કોઈ રાજનેતા આપણી વચ્ચે આવે છે તો તેની વિરુદ્ધ પણ આપણે ટાંટિયાખેંચ કરવા લાગી જઈએ છીએ. આપણે પોતે તો કંઈ સારું કરવા સામર્થ્યવાન નથી, પરંતુ કોઈ સારું કામ કરતુ હોય તો એના માર્ગમાં અવરોધો ઉભા કરતા હોઈએ છીએ. આવા સમયે શું આપણે ભગવાનના શંખ, ચક્ર, ગદાના તેજને જીરવી શકીશું, શું આપણે એ દિવ્ય દર્શનના અધિકારી છીએ?
ભગવાને અવશ્ય એવું વચન આપ્યું છે કે હું સમયે સમયે અવતાર લેતો રહીશ, પણ એવું ક્યાય નથી કહ્યું કે મનુષ્યે પોતાનો ધર્મ નિભાવવાનું છોડીને ભગવાનના અવતારની રાહ જોયા કરવી. આજે આપણે બધા શું કરી રહ્યા છીએ? શું આપણી આજુબાજુ સારા માણસો નથી? આપણે તેમની સહાયતા કરવા માટે શું કરી રહ્યા છીએ? પીઠ થાબડવા વાળા અને સલાહ સુચન કરવા વાળા ડાહ્યાઓ તો બહુ છે, પણ તેમનું અનુસરણ કરવાવાળા કેટલા? અને વળી સારું કામ કરતા લોકોના ટાંટિયાખેંચ કરવા વાળા પણ શું ઓછા લોકો છે?
આમ જોઈએ તો હજારો વર્ષોથી સેંકડો મહાત્માઓ જન્મ લઇ જ રહ્યા છે. આ દરેક મહાત્માઓ ભગવાનની પ્રેરણાથી જ, ભગવાનનું કાર્ય કરવા જ જન્મ લેતા હોય છે. જયારે જયારે જે-તે મહાપુરુષની આવશ્યકતા હોય છે ત્યારે તે આવી જ જાય છે એ આપણે ઇતિહાસમાં જોયેલું જ છે. જો કોઈ મહાન યોદ્ધાની આવશ્યકતા હોય તો વિક્રમાદિત્ય, શાલિવાહન, ચંદ્રગુપ્ત મૌર્ય, શિવાજી વગેરે જેવા વીરો આવી જતા હોય છે, અને જોઈ કોઈ આધ્યાત્મિક ગુરુની આવશ્યકતા હોય તો આદિ શંકરાચાર્ય, કુમારિલ ભટ્ટ, સ્વામી વિવેકાનંદ જેવા મહાત્માઓ અવતરતા હોય છે. આ ઉપરાંત જયારે જયારે મારા-તમારા જેવો કોઈ સામાન્ય વ્યક્તિ પણ કોઈ સારું કામ કરતો હોય છે ત્યારે તે ભગવત પ્રેરણાથી જ થતું હોય છે. તો હવે આપણે પોતાને એ પ્રશ્ન પૂછવાનો રહે કે જો આ બધા સામાન્ય મનુષ્યો હોવા છતાં આવડા મોટા કામ કરી શક્યા તો આપણે શા માટે ના કરી શકીએ? આપણે શા માટે ભગવાન અવતાર લે એની રાહ જોવી જોઈએ?
ભગવાન ક્યારેય પોતાના કાર્યમાં મોડા પડતા નથી. જે સમયે, જે ક્ષણે તેમણે જે કાર્ય કરવાનું હોય છે તે અચૂક થઇ જાય છે. મૂર્ખતા આપણી હોય છે કે આપણે "ભગવાન મોડો પડી ગયો" એવા વ્યર્થ વિલાપો કરતા હોઈએ છીએ. જયારે પ્રહલાદ કુમાર ઉપર તેના પિતા હિરણ્યકશ્યપુ અપાર ત્રાસ ગુજારી રહ્યા હતા ત્યારે પણ પ્રહલાદ પોતાનો ધર્મ ત્યજીને ભગવાનને ગાળો ભાંડવા લાગ્યો નહતો. તે ત્યારે પણ શ્રી નારાયણનું નામ સ્મરણ જ કરી રહ્યો હતો. અંતે જયારે ખરો સમય આવ્યો ત્યારે ભગવાન નરસિંહ અવતાર લઈને આવે છે અને હિરણ્યકશ્યપુનો વધ કરે છે. વધ કર્યા પછી સૌથી પહેલું વાક્ય ભગવાન બાળક પ્રહલાદને શું કહે છે જાણો છો? ભગવાન અત્યંત વિનમ્રતાથી કહે છે કે "હે પ્રહલાદ, જો કે હું તો ઉચિત સમય અને ઉચિત ક્ષણ આવતા સાથે જ અવતાર ધરીને તારા સન્મુખ આવ્યો છું, પરંતુ જો તને એવું લાગતું હોય કે મેં આવવામાં બહુ વાર કરી તો હું ક્ષમા માંગુ છું." આનો અર્થ એ થયો કે ભગવાન ક્યારેય સમય ચૂકતો નથી, આપણું જ અજ્ઞાન હોય છે કે આપણે એવું માનીએ છીએ.
આમ છતાં જો આપણે શાસ્ત્રોના કહ્યા મુજબ ભગવાન સ્વયં જ અવતાર લઈને આવે એવો આગ્રહ રાખીએ તો આપણે એ જાણી લઈએ કે હવે પછીનો અવતાર, એટલે કે કલ્કી અવતાર આવવાને હજુ ઘણી ઘણી વાર છે. ભગવાન કલ્કી છેક કળયુગના અંતમાં આવશે. કળયુગનો કુલ સમય ૪૩૨૦૦૦ વર્ષ (ચાર લાખ બત્રીસ હજાર વર્ષ) નો હોય છે. અને આ કળયુગ શરુ થયાને હજુ ૫૦૦૦ વર્ષો જ થયા છે! હજુ ૪૨૭૦૦૦ વર્ષો કાઢવાના બાકી છે! જો આપણે આજના સમયને કઠણ કળીકાળ માનતા હોઈએ તો હજુ એક બીજું તથ્ય જાણી લો... કળયુગનો શરૂઆતનો ૧૦૦૦૦ (દસ હજાર) વર્ષનો સમય માનવજાતિ માટે સુવર્ણયુગ કહેલો છે. આનો અર્થ એ થયો કે આપણે અત્યારે તો માનવજાતના સુવર્ણ યુગમાં જીવી રહ્યા છીએ. શાસ્ત્રોમાં કળયુગની ચરમસીમાનું જે વર્ણન આપેલું છે તેના એક ટકા દુખો પણ આપણે આજે ખમી રહ્યા નથી. માટે ભગવાનના અવતારની રાહ જોવા કરતા, ભગવાનને ગાળો ભાંડવા કરતા, આપણે ભગવાન પાસેથી વર્તમાન સમયના દુષણોનો સામનો કરવાની શક્તિ માંગીએ એ જ યોગ્ય છે.
એક વાત યાદ રાખો, જ્યારે પૂર્ણ અવતાર પૃથ્વી ઉપર આવે છે ત્યારે એ પૂરી નિર્મમતાથી દરેક અધર્મીનો નાશ કરે છે અને આખી પ્રકૃતિ અને સૃષ્ટિને "Reset" મારે છે. એટલે સૌએ પોતાના કર્મો જોવા જોઈએ અને ભગવાનને પૃથ્વી ઉપર આવવાની કામના ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. એ ત્યાં છે ત્યાં સુધીજ સારું છે એમ કહીએ તો કઈં ખોટું નથી.
અવતાર ક્યારે લેવો અને કેમ લેવો એ સંપૂર્ણપણે ભગવાનની ઇચ્છાનો વિષય છે, કારણકે પ્રકૃતિ અને સંસારનું સંતુલન જાળવી રાખવું એ એમનું દાયિત્વ છે, આપણું નહીં. આપણે એમાં હસ્તક્ષેપ ના કરીએ અને આપણો ધર્મ જાળવી રાખીએ એમાંજ આપણાં સૌનું કલ્યાણ છે.
*પૂરી શંકરાચાર્યના પ્રવચનોની પ્રેરણાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો